The Eloquent, Shivam Vipul Purohit:
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે: ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ
વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતમાં સામુહિક ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમ યોજાયો હતો. મોઢેરા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળી સૂર્ય નમસ્કારની ઉજવણી સંદર્ભે પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સૂર્યનમસ્કારની મહત્વતા સમજાવતા જણાવ્યું કે આ એક ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે જેને જાળવવાની આપણા સૌની ફરજ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ત્યારે ૧ લી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે ગુજરાતના ૧૦૮ આઇકોનીક સ્થળો સાથે નર્મદા જિલ્લાના ૩ સ્થળો સહિત નર્મદાના પવિત્ર વિસ્તાર અને સરદારના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો છે.
વધુમાં જણાવ્યું કે, સૂર્યનમસ્કાર થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે. અને શરીરના તમામ રોગો સામે રક્ષણ મળે છે. સાથે સૌને સૂર્યનમસ્કાર થકી સૌર ઊર્જા મળે છે.

ડૉ. દર્શનાબેન દેશમુખે પ્રતિદિન ૧૦ મિનિટ સૂર્યનમસ્કાર કરવા સૌને આહવાન અપીલ કર્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલે પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જણાવ્યું કે, સરકારએ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન શ્રેષ્ઠ અભિગમ છે. સૂર્ય નમસ્કાર આસન થકી થતાં ફાયદા અંગે સમજણ આપી મોટેરાના ગ્રામજનોને મળી રહેલી સોલાર ઊર્જા અંગે વિસ્તૃતમાં સમજ આપી હતી.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, અધિક કલેકટર ગોપાલ બામણિયા,નાયબ કલેકટર અભિષેક સિન્હા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક અઘિકારી દિલીપ દેસાઈ, સહિત પોલીસ, SRP, CISF તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો.