Business :
ભારતીય પોસ્ટ ઓફિસ ઘણી બચત યોજનાઓ ચલાવે છે. સારા રિટર્ન અને સલામત રોકાણને કારણે પણ તે ખૂબ જ લોકપ્રિય છે. સિનિયર સિટીઝન માટે પણ ભારતીય પોસ્ટ ઓફિસ એક શાનદાર રોકાણ યોજના ચલાવે છે. પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizens Savings Scheme – SCSS) નામની આ સ્કીમમાં બેંક FD કરતાં વધુ વ્યાજ મળે છે. આ સાથે જ રોકાણકારને ટેક્સ છૂટનો પણ લાભ આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબર 2022થી આ યોજનાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. અગાઉ તેમા વાર્ષિક 7.4 ટકાના દરે વ્યાજ મળતું હતું. તે જ સમયે હવે તે વધીને 7.6 ટકા થઈ ગયો છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ જ રોકાણ કરી શકે છે. આ ઉપરાંત સિવિલ એડમિનિસ્ટ્રેશનમાં ફરજ બજાવતા 55 થી 60 વર્ષના કર્મચારીઓ અને સંરક્ષણ સેવામાંથી નિવૃત્ત થયેલા 50 થી 60 વર્ષના કર્મચારીઓ પણ તેમાં એકાઉન્ટ ખોલાવી શકે છે.

FD કરતા વધુ વ્યાજ
આ સ્કીમમાં 1,000 રૂપિયાથી જ રોકાણ શરૂ કરી શકાય છે. તે જ સમયે આ યોજનામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણ કરેલા રૂપિયા પર 7.6 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. મોટાભાગની બેંકો સિનિયર સિટીઝન માટે 6 ટકાથી લઈને 7 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં તે માત્ર બેંકોની એફડી કરતાં વધુ વ્યાજ જ નથી આપી રહી, સાથે જ ટેક્સમાં છૂટ પણ આપી રહી છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ઈનકમ ટેક્સની કલમ 80C હેઠળ, 1.5 લાખ રૂપિયાના રોકાણ પર કર મુક્તિ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો… વડોદરામાં સેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા આવશે
મેચ્યોરિટી પહેલા ઉપાડી શકાય છે રકમ
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેને ગમે ત્યારે બંધ કરી શકાય છે. હા, જો એકાઉન્ટ એક વર્ષથી ઓછા સમયગાળા માટે બંધ હોય તો રોકાણ કરેલી રકમ પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી. જો તમે 1 થી 2 વર્ષના સમયગાળા વચ્ચે એકાઉન્ટ બંધ કરો છો, તો તમને ચૂકવવામાં આવતી વ્યાજની રકમમાંથી 1.5 ટકા કાપવામાં આવશે. તેવી જ રીતે જો તમે 2 થી 5 વર્ષની વચ્ચે રોકાણ બંધ કરો છો, તો 1 ટકાની કપાત થશે.